સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી- રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અવસરે વન અને આદિજાતિ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ વલસાડ ખાતેથી વલસાડ પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી આ માર્ચ પાસ્ટ સર્કિટ હાઉસથી શરૂ કરી ટાવર, કલ્યાણી બાગ થઇ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પૂર્ણ થઇ હતી આ માર્ચ પાસ્ટમાં પોલીસના જવાનો, હોમગાર્ડ તથા ટીઆરબીના જવાનો જોડાયા હતા.
આ અવસરે વન અને આદિજાતિ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, દેશની અંખડિતતાના શિલ્પીને સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરવાનો દિવસ છે. દેશ માટે શહીદી વ્હોરનાર શહીદોને યાદ કરવા સાથે દેશની આંતરીક સુરક્ષાની સેવામાં સતત તત્પર એવા દેશના જવાનો માટે અભિનંદન આપવા ધટે છે. ત્યારે દેશની અખંડિતતા, સલામતી અને સુરક્ષામાં સૌના સહયોગની જરૂર હોવાનું જણાવ્યું હતું.
આ અવસરે મંત્રીશ્રી સહિત મહાનુભાવો શણગારાયેલી જીપમાં બેસી શહેરના માર્ગે ફરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ અવસરે નિવાસી અધિક કલેકટર એન.એ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર શ્રી સુવેરા સહિત પોલીસ અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.