બધા સાથે મળીને કામ કરીશું તો બધા જ લોકોને દરેક યોજનાનો લાભ મળશે: – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
સ્ટાર મીડિયા ન્યૂઝ બ્યુરો,
વલસાડ:- વલસાડના ઉમરગામ ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૪.૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર નવી મામલતદાર કચેરીનું ખાતમુહૂર્ત કરાયું. આ કચેરીના નવા મકાનમાં કુલ બે ફ્લોર (ગ્રાઉન્ડ +૧) હશે. મકાનમાં જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ઈ – ધરા કચેરી, કોન્ફરન્સ રૂમો વગેરે બનાવવામાં આવશે જેથી લોકોની સુવિધામાં વધારો થશે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નવરાત્રી અને નવા બનનારા મામલતદાર કચેરીના મકાનની શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, આ કચેરીથી ૪૩ ગામના લોકોને ઘણો લાભ થશે અને કામગીરી સુલભ બનશે. બધા લોકો સાથે મળીને કામ કરશે તો નાનામાં નાના લોકોને દરેક યોજનાઓનો લાભ મળશે. આ કચેરીના મકાનના બાંધકામમાં કામમાં ગુણવત્તા જળવાય તે માટે કોન્ટ્રાકટર સાથે મોનીટરીંગ કરતા રહેવું.વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે. તેમજ અનેક યોજનાઓને કારણે દરેક વ્યક્તિની પણ પ્રગતિ થઈ રહી છે. દેશના વિકાસમાં ફાળો આપે એવી આપ સૌને અપીલ કરું છું.
ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે અને સાંસદ કે.સી. પટેલે પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, સંગઠન પ્રમુખ હેમંત કંસારા, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, મામલતદાર જે.વી.પાંડવ, તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂત, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જતિન પટેલ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.