◆ગુજરાતને ક્લાઈમેટ ચેન્જ વિભાગ ઉભું કરનાર અને ૨૪ કલાક વીજપુરવઠો આપનાર પ્રથમ રાજ્ય બનાવવાના પાયામાં શ્રી નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ:- શ્રી કનુભાઈ દેસાઈ
◆નીતિ આયોગના સભ્ય શ્રી વી.કે.સારસ્વત, CIIના ચેરમેન શ્રી દર્શન શાહ તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના અગ્રસચિવ શ્રી મમતા વર્માની ઉપસ્થિતિ:-
સ્ટાર મીડિયા ન્યૂઝ બ્યુરો,
અમદાવાદ :- અમદાવાદ ખાતે “નેટઝીરો રોડમેપ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્યના નાણાં અને ઉર્જા-પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું હંમેશા ગુજરાતને રિન્યુએબલ એનર્જીમાં અગ્રેસર રાખવાનું વિઝન રહ્યુ છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે જ ગુજરાત આલાયદો ક્લાઈમેટ ચેન્જ વિભાગ ઉભું કરનાર અને ૨૪ કલાક વીજપુરવઠો આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે.
શ્રી દેસાઈએ જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં વર્ષ ૨૦૦૯માં રાજ્યની પ્રથમ સોલર પોલિસી લોન્ચ થઈ હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે પણ ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં અસરકારક કામગીરી થઈ રહી છે. જેના પરિણામે આજે ગુજરાત વિન્ડ એનર્જીના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ અને સોલર ઉર્જાના ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમાંકે છે. આ ઉપરાંત તાજેતરમાં લોન્ચ થયેલી એનર્જી પોલિસીમાં પણ કાર્બન ઉત્સર્જનને શૂન્ય કરવા પર ભાર મુકાયો છે. એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતની ભૌગોલિક સાનુકૂળતાઓનો ઉલ્લેખ કરી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ૨૦૩૦માં ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજનનું નોંધપાત્ર ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે. સાથોસાથ મેન્યુફેક્ચરિંગ, ટ્રાન્સપોર્ટેશન અને કૃષિક્ષેત્રમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ઘરેલુ વીજ વપરાશમાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો વધારવાનું પણ રાજ્ય સરકારનું આયોજન છે. ભારતના કુલ રુફટૉપ સોલાર ઈન્સ્ટોલેશનમાંથી ૮૦ ટકા ઈન્સ્ટોલેશન માત્ર ગુજરાતમાં થયું જે એક અદ્વિતીય સિદ્ધિ છે. એમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે નીતિ આયોગના સભ્ય શ્રી વી.કે.સારસ્વતે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ૨૦૪૭ સુધીમાં દેશમાં નેટ ઝીરો કાર્બન એમિશનનો લક્ષ્ય હાંસલ કરવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ છે. જે રાજ્ય સરકારોના સહયોગ વગર શક્ય નથી. તેવામાં ગુજરાતે આ દિશામાં લીધેલા નેતૃત્વને તેમણે બિરદાવ્યું હતું.
“નેટ ઝીરો રોડમેપ વર્કશોપ”ના વિવિધ સત્રોમાં રાજ્ય સ્તરે ઝીરો નેટ કાર્બન ઉત્સર્જનના પ્રયાસો, રોડમેપના વિવિધ પ્રકલ્પો સહિતના વિષયો પર પ્રેઝન્ટેશન અને પ્રશ્નોત્તરીનું આયોજન કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે “નેટ ઝીરો રોડમેપ વર્કશોપ”નું આયોજન કેન્દ્ર સરકારના નીતિ આયોગ, CII અને ગુજરાતના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં સંયુક્ત ઉપક્રમે થયું હતું. જેમાં રાજય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના અગ્રસચિવ શ્રી મમતા વર્મા, GUVNLના એમ.ડી. શ્રી જયપ્રકાશ શિવહરે તથા અન્ય આમંત્રિત મહાનુભાવો હાજર રહ્યા હતા.